
ન જાણ્યું જાનકી નાથે કે કાલે સવારે શું થવાનું છે… એમ મામાના ઘરે ગયેલા ભાણિયાઓને એ ક્યાં ખબર હતી કે હવે ક્યારેય ઘરે પરત નહીં ફરીએ.. આ ગોઝારી ઘટના છે ગઇકાલે સુરત-બારડોલી હાઇવે પર થયેલા અકસ્માતની. પાટણથી ત્રણ ભાઇ-બહેન સાથે માતા-પિતા સુરત મામાના ઘરે ગયાં હતાં. જ્યાંથી મામા સાથે લગ્ન પ્રસંગમાં ગયેલાં ત્રણ ભાઇ-બહેનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આજે હૈયાફાટ આક્રંદ સાથે પાટણમાં તેમની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

સુરત-બારડોલી હાઇવે પર બમરોલી પાસે શનિવારે ડમ્પર અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં માંડવીના મહેશભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ, એમની પત્ની અને દીકરી તેમજ મહેશભાઈની પાટણ રહેતી બે ભાણી અને એક ભાણો એમ 6 લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યારે આ 6 લોકોની લાશનું પી.એમ. કરી વાલી-વારસોને સોંપવામાં આવી હતી. ત્યારે પાટણના ત્રણે ભાઈ બહેનના મૃતદેહને મોડી રાત્રે પાટણ લવાતા પરિવારમાં શોકની કાલીમા છવાઈ હતી. ત્યારબાદ સવારે ત્રણે ભાઈ બહેનની એકસાથે અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

પાટણ શહેરના બલિયાપાડા વિસ્તારમાં ચલાખિયાના માઢમાં રહેતા હર્ષદભાઈ જીવાભાઇ પટેલના લગ્ન સુરતના માંડવીમાં થયા છે. હર્ષદભાઈ તેમની પત્ની અને ત્રણ બાળકો સાથે સુરતના માંડવી સસરા ઘરે ગયા હતા અને ત્યાંથી બે ભાણી અને ભાણો તેમના મામાની ગાડીમાં સંબંધીના લગ્ન પ્રસંગમાં ગયા હતા. ત્યાં અકસ્માત થતા હર્ષદભાઈ પટેલની મોટી દીકરી મેઘા, નાની દીકરી તમન્ના અને દીકરા અક્ષિતનું અકસ્માતમાં મોત થયું હતું.

અકસ્માત મામા, મામી અને તેમની દીકરી સહિત મામાની ગાડીમાં બેઠેલ પાટણના ત્રણ ભાઈ-બહેનના પણ ઘટના સ્થળે મોત નીપજ્યા હતાં. ત્યારબાદ તમામની લાશનું પી.એમ. કરી લાશને વાલીવારસાને સોંપવામાં આવી હતી. ત્યારબાદ ત્યાંથી ત્રણે ભાઈ-બહેનની ડેડબોડી મોડી રાત્રે પાટણ લાવવામાં આવતા પરિવારમાં રોકકળ મચી જવા પામી હતી અને શોકનું મોજું ફરી વળ્યું હતું. રવિવારે સવારે ત્રણેની એકસાથે અંતિમયાત્રા નીકળતા ગમગીન માહોલ છવાયો હતો. એક સાથે નીકળેલી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો જોડાયા હતા.

સુરત બારડોલી નેશનલ હાઈવે પર શનિવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બારડોલીના બમરોલી નજીક કાર અને ડમ્પર વચ્ચે ગોઝારા અકસ્માતમાં 6 લોકોનાં મોત નીપજ્યાં હતાં. કારમાં સવાર 6 લોકોનાં અકસ્માત સ્થળે જ મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ બનાવમાં મૃતક દક્ષિણ ગુજરાતના માંડવી તેમજ ઉત્તર ગુજરાતના પાટણના રહેવાસી હતા.