
ગુજરાતભરમાં આજકાલ એક ઘોડાની ચર્ચા છે. લગ્નની સિઝન છે એટલા માટે નહીં પરંતુ આ ઘોડો અધધ 21 લાખ રૂપિયામાં વેચાયો છે. ઘોડાના માલિકની જીદ હતી કે મને 21 લાખ રૂપિયા મળે તો જ વેચીશ. કેટલાક દિવસ પહેલાં એક વ્યક્તિ ઘોડાના માલિક પાસે આવ્યો, ઘોડાની કિંમત 21 લાખ રૂપિયા નક્કી જ હતી એટલે રૂપિયા ચૂકવ્યા અને ઘોડો લઈ ગયો. પરંતુ આ સાથે જ કેટલાક સવાલ ઉભા થયા.
21 લાખ રૂપિયા એ નાનીસૂની રકમ તો નથી જ. આટલા રૂપિયામાં બીજું ઘણું બધું આવી શકે. માન્યું કે ‘શોખ બડી ચીઝ હૈ’, પરંતુ આ ઘોડામાં એવી તો શું ખાસિયત હતી કે તેને ખરીદવા માટે કોઈ લાખો રૂપિયા આપવા માટે તૈયાર થઈ જાય? આ સવાલનો જવાબ શોધતા ઘોડાનું એક રીતે મહાભારત કનેક્શન સામે આવ્યું છે. ત્યારે આ ઘોડાનો શું ઉપયોગ કરવામાં આવે છે? તેની કેવી રીતે માવજત થાય છે? ગુજરાતમાં કેવી નસલના ઘોડાની માગ વધુ છે? લગ્ન પ્રસંગ સિવાય પણ ગુજરાતમાં ઘોડાનો કરોડો રૂપિયાનો કારોબાર કેવી રીતે ચાલી રહ્યો છે?

21 લાખ રૂપિયામાં જે ઘોડો વેચાયો છે, તેના માલિક એટલે કે ઝુસબ સુલેમાન કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના લાકડિયા ગામમાં રહે છે. ઝુસબ સુલેમાને જણાવ્યું કે, ‘મેં વેચેલા ઘોડાનું નામ બાજ રાખવામાં આવ્યું હતું. અમે વર્ષોથી લાકડિયા ગામમાં રહીએ છીએ. અમારા પૂર્વજોને પણ ઘોડા પાળવાનો શોખ હતો. લગભગ સાત પેઢીથી અમારા અને ઘોડા વચ્ચેનો સંબંધ છે જ. મને યાદ છે જ્યારે હું નાનો હતો ને ત્યારથી જ આ ઘોડા સાથે જ રમીને મોટો થયો છું. એટલે ઘોડેસવારી પણ મને વારસામાં જ મળી છે એમે કહું તો પણ કંઈ ખોટું નથી. હાલમાં લાકડિયામાં 3 એકરની વાડીમાં અમે ઘોડા માટેનું ફાર્મ તૈયાર કર્યું છે, જેની અંદર સિંધી નસલના ઘોડાની માવજતથી લઈને ટ્રેનિંગ આપવામાં આવે છે. અમારી પાસે ચાર ઘોડા છે. હમણાં બાજ નામના ઘોડાને વેચ્યો એ પણ સિંધી નસલનો જ હતો. બધા ઘોડાને અમે અમારા ફાર્મ પર જ ઉછેરથી લઈને તેની ટ્રેનિંગ પણ આપતા હોઈએ છીએ.’
મધ્યમ પરીવાર માટે સપનાનું ઘર કે એક મોંઘી કાર આવી જાય એટલી ઊંચી રકમમાં વેચાયેલા ઘોડા વિશે ઝુસબ સુલેમાને દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, ‘એ ઘોડાનો જન્મ તો આજથી સાડા ચાર વર્ષ પહેલાં અમારે ઘરે પાળેલી એક ઘોડીથી જ થયો હતો. “બાજ”ના જન્મથી લઈને તેને વેચ્યો ત્યાં સુધી અમે બાળકની જેમ જ તેનો ઉછેર કર્યો હતો. જેના કારણે તેની સાથે અમારે ગાઢ સંબંધ બની ગયો અને જાણે તે અમારા પરિવારનો અંગત સભ્ય બની ગયો હોય એમ લાગતું હતું.’

ઝુસબ સુલેમાને કહ્યું, ‘બાજ ઘોડા પહેલાં અમારી પાસે કચ્છ કેસરી નામનો ઘોડો હતો. જેનો ઉછેર મારા દાદાના તબેલામાં થયો હતો. જ્યારે કોઈ પણ રેસ હોય કે પછી ઘોડાના લગતું કોઈ પ્રદર્શન હોય, અમે કચ્છ કેસરી ઘોડાને લઈને ત્યાં જતાં ત્યારે રીતસર લોકો તેને જોવા માટે આવતા, એ ઘોડાની પણ ખૂબ જ માગ હતી. અમારો કચ્છ કેસરી ઘોડો જે પણ રેસમાં ઉતરે એટલે એની જીત નક્કી જ મનાતી. ત્યાં ઉભેલા તમામ લોકોના મુખે કચ્છ કેસરીના જ ઘણા કિસ્સાઓ અમને સાંભળવા મળતા હતા. લોકો કચ્છ કેસરીના વખાણ કરતા થાકતા ન હતા. ધીરે ધીરે કચ્છ કેસરી ઘોડો એટલો જાણીતો બન્યો કે તેની દૂર-દૂરથી માગ આવવા લાગી. આજથી દોઢેક વર્ષ પહેલાં કચ્છ કેસરીને 14 લાખ 51 હજારમાં વેચ્યો હતો.’
દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા ઝુસબ સુલેમાને ઘોડાને લગતી એક રસપ્રદ જાણકારી આપી. તેમણે કહ્યું, ‘જ્યારે ઘોડાનો જન્મ થાય છે ત્યારે તેનો ફોટો પાડીને તેના ઉપર જન્મ તારીખ લખવામાં આવે છે. જેના આધારે તેની જન્મ તારીખ યાદ રાખવામાં આવતી હોય છે. પણ જ્યારે આપણે કોઈ પાસેથી વેચાતો ઘોડો લાવીએ ત્યારે તેની ઉંમર જાણવાનો પણ એક વિકલ્પ છે. ઘોડાની ઉંમર જાણવા માટે એ ઘોડાના દાંત જોવામાં આવે છે અને દાંત ઉપર બનેલી રિંગ પરથી ખબર પડે છે કે એની ઉંમર કેટલી હશે? અમારા વડવાઓ તો ઘોડાના દાંત ઉપરથી જ તેની લગભગ સાચી કેટલી ઉંમરનું અનુમાન લગાવી લેતા હતા.’

કચ્છમાં રહેતા ઝુસબ સુલેમાને કહ્યું અમારે ત્યાં પેઢીઓથી પરિવારના લોકો ઘોડા રાખતા આવ્યા છે. આ પ્રવૃત્તિ અમે પણ આગળ વધારી છે.
વર્ષોથી ગુજરાતમાં વેપાર માટે કે શોખ માટે લોકો ઘોડા રાખતા હોય છે. પરંતુ અન્ય પશુની માફક ઘોડાની રોજિંદી આવક મળે એમ હોતું નથી, છતાં પણ તેની માવજત દરરોજ ખૂબ જ વ્યવસ્થિત રીતે કરવી પડતી હોય છે. ઝુસબ સુલેમાનને આપેલી જાણકારી મુજબ, ‘આ ઘોડાની માવજતની કામગીરી તો વહેલી સવારથી એટલે કે સવારના 7 વાગ્યાથી શરૂ થઈ જતી. સૌથી પહેલાં સાત વાગે ઘોડા પાસે જઈને તેને બાળકની જેમ થોડા સમય સુધી પંપાળતા હોઈએ છીએ. ત્યાર બાદ તેને તબેલામાંથી બહાર કાઢીને થોડેક દૂર સુધી ચાલતા લઈ જઈએ છે. જેના કારણે ઘોડાને થોડી તાજગી અનુભવાય છે. ત્યાર બાદ રાત્રે પલાળેલા 500 ગ્રામ ચણા, 500 ગ્રામ મગમાં ઘી, બાજરો અને અન્ય કેટલીક વસ્તુઓ મિક્સ કરીને પાંચ કિલો જેની ઘમેલી ભરીને આપતા હોઈએ છીએ. એટલે તેની ઈચ્છા હોય એટલું એ ખાઈ લે. એ પછી અન્ય કેટલોક ચારો આપ્યા બાદ બપોરે ઘોડાને વાડીમાં જ નવડાવવા માટે લઈ જતા હતા. જે બાદ તેના માટે નદીમાંથી લાવેલી ખાસ પ્રકારની માટીમાં તે આળોટતા હોય છે. આ સમયે ઘોડાને વિવિધ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. સાંજના સમયે ફરી પાછો તેને લઈને તૈયાર કરીને ગામમાં લઈને જઈએ છીએ. સાંજે લગભગ સાત વાગ્યાની આસપાસ પાછો વાડીમાં લાવીને તેને સવારની જેમ જ સાંજે પણ ભૂસું ખવડાવવામાં આવે છે. આમ તેની સવારથી રાત સુધી માવજત કરવામાં આવતી. જેના કારણે પ્રત્યેક ઘોડા પાછળ એક દિવસમાં જ લગભગ 700 થી 1000 રૂપિયા જેટલો ખર્ચો થતો હોય છે.’
ઝુસબ સલમાને જણાવ્યું કે, ‘એ ઘોડો જ્યારે નાનો હતો ત્યારથી જ એટલો ચપળ અને ખૂબ જ ઝડપી હતો. આ જોઈને જ અમે તેનું નામ “બાજ” રાખ્યું હતું. અત્યાર સુધીમાં અમે સુરત, વેકરીયા, રાપરના જેસર, ભારાઈ સહિત લગભગ 12 જેટલી જગ્યાએ યોજાયેલી રેસમાં બાજ ઘોડાને લઈને ગયા હતા. એ સમયે લગભગ 6 થી 7 જેટલી રેસમાં તેણે બાકીના ઘોડાને પાછળ છોડીને વિજય મેળવ્યો હતો. જ્યારે બાકીની રેસમાં તેનો બીજો કે ત્રીજો નંબર આવ્યો હતો. જ્યારે પણ કોઈ રેસ યોજાવવી હોય ત્યારે આ રેસમાં ભાગ લેવા માટે આ ઘોડાની ખૂબ જ માગ રહેતી હતી. આમ તો હું પણ નહોતો ઈચ્છતો કે આવા સારા ઘોડાને વેચી દઉં. પરંતુ એક વાર એ વાત “ટસલ” ચડી ગઈ કે હવે બાજને વેચવો તો 21 લાખમાં જ, બાકી એનાથી નીચે તો નથી જ વેચવો. આ દરમિયાન અમારી પાસે એક અશ્વપ્રેમીની ઓફર આવી કે અમારે તમારો બાજ ઘોડો ખરીદવો છે. એટલે અમે એમને અમારી કિંમત જણાવી. જે બાદ તેમણે 21 લાખની ઊંચી કિંમત આપીને આ ઘોડાને ખરીદવાની તૈયારી બતાવી એટલે અમે તેને વેચી દીધો.’

21 લાખ રૂપિયા કિંમત આવતા હવે આ ઘોડના નામે એક રેકોર્ડ સર્જાઈ ગયો છે. પણ નોંધવા જેવી વાત એ છે કે આ પરિવાર વર્ષોથી માત્રને માત્ર સિંધી નસલના ઘોડા જ પાળતા આવ્યાં છે. એટલે જ્યારે સિંધી નસલના ઘોડા પાળવા પાછળના કારણ અંગે પૂછતાં ઝુસબ સુલેમાને કહ્યું કે, ‘સિંધી નસલના ઘોડા ક્યારેય પોતાની વફાદારીને ભૂલતા નથી કે ન તો એ પોતાની ક્યારેય ચાલ બગાડે છે. જેના કારણે અમને ઘોડાની આ જાત જ સૌથી વધારે પસંદ આવે છે. એટલે જ અમે બાજનો પણ એ જ રીતે ઉછેર કર્યો છે. બાજ ઘોડાની વિશેષતાઓ વિશે ઝુસબે જણાવ્યું કે, અત્યાર સુધીમાં મેં અનેક ઘોડા જોયા છે, પણ આ તમામ ઘોડામાં “બાજ”ની વાત આવે તો એ બધા જ ઘોડાને પાછળ છોડી દે તેવો છે. એની ચાલ એટલી જોરદાર છે કે તમે એને જોયા જ કરો. બાજ ઘોડાની ઊંચાઈ 5 ફૂટ કરતા પણ વધારે છે. કદ કાઠીમાં પણ એકદમ સારો ઘોડો હતો. તે 38થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી સકે છે. “બાજ” દૂરથી આવતો હોય તો પણ ઓળખાઈ જતો. એ ઘોડા ઉપર કોઈ અજાણી વ્યક્તિ પણ બેસી જાય તો એ ક્યારેય કોઈને પછાડતો નહીં, એટલો વફાદાર હતો જેના કારણે મારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે પણ તેનો અંગત નાતો બંધાઈ ગયો હતો. જ્યારે “બાજ”ના વેચાણના સમાચાર મારા મિત્રોને મળ્યાં ત્યારે તે લોકો દુ:ખી થયા હતા.’
દિવ્ય ભાસ્કરે ઈક્વિસ્ટન સ્પોર્ટ્સ એસોસિએશનના પ્રમુખ અને સેડલ એન્ડ સ્ટેબલ ક્લબના સંજય બારોટ સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે ઘણી રસપ્રદ અને અજાણી વાતોની જાણકારી આપી હતી. સંજય બારોટે સિંધી નસલના ઘોડાની ચાલ અંગે જણાવ્યું કે, ‘આ ઘોડાની ચાલ રેવાલ છે જેના કારણે ઘોડો ગમે તેવી ઝડપમાં ચાલતો હોય છતાં પણ તેના ઉપર બેઠેલા અસવારને જરા પણ તેનું વાઈબ્રેશન આવતું નથી. વિશ્વમાં ઘોડાની માત્ર બે જ જાત છે જે રેવાલ ચાલતી હોય છે, જેમાં સિંધી ઘોડાની ચાલ કુદરતી રીતે જ રેવાલ છે. ગુજરાતમાં આ ઘોડા કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં યોજાતી રેસમાં જોવા મળે છે. હાલમાં જે 21 લાખમાં સિંધી ઘોડો વેચાયો છે, મારા મત મુજબ તો આ બ્રિડના ઘોડાની કિંમત હજી પણ વધુ આંકી શકાય છે.’

સંજય બારોટે જણાવ્યું કે, ‘જો ઘોડાની જાત વિશે વાત કરવામાં આવે તો હાલમાં વિશ્વમાં 586 જાત રજિસ્ટર્ડ છે. જેમાંથી કાઠિયાવાડી અને મારવાડી, આ બે જાત જ એવી છે જેના બન્ને કાનના છેડા એક બીજાને સ્પર્શે છે. ભારતમાં ઘોડાની માત્ર પાંચ જ જાત રજિસ્ટર્ડ છે જેમાં કાઠિયાવાડી, મારવાડી, સિંધી સ્પીટી અને ભુટાની છે.’
સંજય બારોટે ખૂબ આશ્ચર્યજનક જાણકારી આપતા કહ્યું, ‘આપણે ત્યાં સિંધી ઘોડાનું પાંચ વર્ષ પહેલાં જ રજિસ્ટ્રેશન થયું છે. કારણ કે આ માટે તેના ડીએનએ ટેસ્ટથી લઈને એક લાંબી પ્રક્રિયા અનુસરવામાં આવે છે. જો સિંધી ઘોડાની આગવી ઓળખ વિશે વાત કરવામાં આવે તો મહાભારતના સમયમાં રાજા જયદ્રથ પાસે સિંધી ઘોડાની સેના હતી એવું કહેવાય છે. એ વખતનું જે રીતે વર્ણન કરવામાં આવ્યું છે અને આજની સિંધી નસલ છે, એ બન્ને ખૂબ જ મળતા આવે છે.’
સામાન્ય રીતે જ્યારે ગાય, ભેંસ, બકરા જેવા પાલતું પશુની ખરીદી કરવા માટે બેંકો અને સહકારી મંડળીએ લોન આપતી હોય છે. પરંતુ શું ઘોડા ખરીદવા માટે લોન મળે ખરી? આ સવાલના જવાબમાં સંજય બારોટે જણાવ્યું કે, ‘મારા ધ્યાનમાં આવ્યા પ્રમાણે વાત કરું તો ઘોડા માટે લોન નથી મળતી. ઘેટા, બકરા અને અન્ય જે પશુઓનો કોમર્શિયલ ઉપયોગ થાય છે. પરંતુ ઘોડાની કોઈ ફિક્સ કિંમત નક્કી નથી હોતી. કોઈ ઘોડો પાંચ લાખમાં પણ વેચાય અને કોઈ ઘોડો 21 લાખમાં પણ વેચાય જેના કારણે તેના ઉપર લોન નથી મળતી. પણ હા, તેનો વીમો ચોક્કસ મળે છે. જેના માટે બિલ આપવું જરૂરી છે.’

ઘોડા માટે લેવામાં આવતાં ઈન્સ્યોરન્સ વિશે સંજય બારોટે જણાવ્યું કે, ‘વિદેશથી આવતી થોરો બ્રિડના ઘોડા સ્પોટ્સમાં વપરાય છે જેના કારણે તેની કિંમત કરોડોમાં હોય છે. એટલે જ્યારે એ ઘોડાને ઈમ્પોર્ટ કરાય છે તો આ દરમિયાન કંઈ નુકસાન ન થાય એ માટે વીમો લેતા હોય છે. કારણ કે એ તમામ ઘોડા પર થતો જાણાકીય વ્યવહાર નિયમ મુજબ જ હોય છે. જેથી તેમાં વીમો સરળતાથી મળી જાય છે. અત્યાર સુધીમાં સૌથી મોંઘું ઈન્સ્યોરન્સ અમેરિકાના એક ઘોડાનું લેવામાં આવ્યું હતું, જેની કિંમત લગભગ 400 કરોડ હતી. સામાન્ય રીતે મેડિકલ ઈન્સ્યોરન્સ કરતા ડેથ ઈન્સ્યોરન્સ વધુ મળતો હોય છે. પણ જો કાઠિયાવાડી અને મારવાડી ઘોડાની વાત કરીએ તો હજુ સુધી મારા ધ્યાનમાં નથી આવ્યું કે કોઈ ઘોડા માટે ઈન્સ્યોરન્સ લેવાયો હોય.’
સંજય બારોટે કહ્યું, ‘કાઠિયાવાડી, મારવાડી અને સિંધી નસલા ઘોડાના વેચાણમાં કોઈ બિલ નથી અપાતું, પણ જ્યાં સુધી અમે સાંભળ્યું છે તેની વાત કરું તો, મારવાડી ઘોડો ત્રણ કરોડમાં વેચાયો છે. અમદાવાદમાં એક કરોડથી વધુ કિંમતના ઘોડાની સંખ્યા દસેક હશે. જ્યારે ભારતમાં 200થી 300 મારવાડી નસલના ઘોડા છે, જે બેથી ત્રણ કરોડમાં વેચાયા હતા. મારા ધ્યાન મુજબ આ ઘોડાઓ આટલા કિંમતી હોવા છતાં હજી સુધી એક પણ ઘોડાનું 100 રૂપિયા પણ બિલ નથી બન્યું.’

હાલમાં પોલીસમાં બે ડિવિઝનમાં ઘોડાનો ઉપયોગ કરવામાં આવે છે જે પૈકી એક તો પેટ્રોલિંગ માટે કરવામાં આવે છે અને બીજો ઉપયોગ અલગ અલગ સ્પોર્ટ્સમાં કરવામાં આવે છે. જેમાં મારવાડી, કાઠિયાવાડી અને થોરો એમ ત્રણેય બ્રિડનો સરખા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. હાલમાં ગુજરાત કાઠિયાવાડી નસલના ઘોડાની સંખ્યામાં મોખરે છે. મારવાડી નસલના ઘોડાની સંખ્યામાં પણ નોંધવા જેવો વધારો થયો છે.
હાલમાં ઘોડાના ઉછેર માટે કેવા નિયમો છે એ અંગે દિવ્ય ભાસ્કરે ઈક્વિસ્ટન સ્પોર્ટ્સ એસોસિએશનના પ્રમુખ અને સેડલ એન્ડ સ્ટેબલ ક્લબના સંજય બારોટે જણાવ્યું કે, ‘એનિમલ વેલફેર દ્વારા કેટલાક નિયમો નક્કી કરવામાં આવેલા છે. ઘોડો પોતાના શરીર પ્રમાણે 3થી 5 ટકા જેટલો ખોરાક ગ્રહણ કરતો હોય છે, એ પ્રમાણે તેને ઘાસ કેટલું આપવું, કેટલો ખોરાક આપવો તે અંગે નક્કી કરવામાં આવે છે. એટલું જ નહીં ઘોડાના સ્થળાંતર માટે પણ નિયમો નક્કી કરવામાં આવ્યાં છે. દિવસમાં એકવાર તો ઘોડાને નવડાવવો જોઈએ અને તેની માલિસ પણ કરવી જરૂરી છે. એ પછી દર ત્રણ મહિને ઘોડાનું મેડિકલ ટેસ્ટ અને સમયસર વેક્સિનેશન પણ કરાવવું જરૂરી છે.’